Skip to main content

ગણેશમહોત્સવની પૂર્ણાહુતિ:નવસારીના વિરાવળ ઓવારે આજે સવારે 6 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી, વહિવટી તંત્ર સહિત પોલીસ વિભાગ ખડેપગે રહ્યું

નવસારી જિલ્લામાં આ વર્ષે ગણેશ વિસર્જન આજે સવારે છ વાગ્યા સુધી ચાલ્યું હતું. ગણેશ સંગઠન વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ દ્વારા સતત 24 કલાક ખડે પગે વ્યવસ્થામાં રહેતા સફળ અને શાંતિ પૂર્વક ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી શહેરના આજુબાજુમાં આવેલા ઓવારાઓ ઉપર થયેલા ગણેશ વિસર્જનના આંકડા ઉપર નજર કરીએ તો નવસારી વિરાવળ ઓવારા નાની મૂર્તિ 2790, મોટી મૂર્તિ 340, જલાલપોર ઓવારે નાની મૂર્તિ 485, મોટી મૂર્તિ, 61 ધારાગીરી નાની મૂર્તિ 820, મોટી મૂર્તિ 190 અને દાંડી મળી કુલ 5000થી વધુ મૂર્તિ વિસર્જિત થઈ હતી. વિજલપોર શહેરમાં ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાથી પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોએ મોટાભાગની મૂર્તિઓ વિરાવળ ઓવરે આવીને વિસર્જિત કરી હતી. નવસારી શહેરના કેટલાક ગણેશ મંડળો છેલ્લે વિસર્જિત થાય તેવું વિચારીને ગણપતિ પ્રતિમાને APMC થી ઓવારા વચ્ચે મૂકી હતી, જેની જાણ પોલીસને થતા તાત્કાલિક મંડળોને પુશઅપ કરી ઓવારા સુધી પહોંચાડ્યા હતા, જેમાં દશેરા ટેકરીમાં આવેલા કરંટ વાળા ગણપતિ મંડળ સાથે પોલીસની થોડા સમય માટે રકજક પણ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ મામલો થાળે પડ્યો હતો. ગણેશ પ્રતિમાને મંડળો સહિત પોલીસે વિસર્જન થવા માટે વિરાવળ ઓવારા સુધી મોકલી હતી. નવસારી ગણેશ સંગઠનના સભ્ય ગુણવંત પટેલ જણાવે છે કે, આજે સવારે છ વાગ્યા સુધી ગણેશ પ્રતિમાનું વિસર્જન કાર્ય ચાલ્યું હતું. તરવૈયા સહિત ગણેશ સંગઠનના સભ્યોએ ખડે પગે રહીને વિસર્જન કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી વેરાવળ ઉવારા ઉપર હાજર રહ્યા હતા. આ વર્ષનું વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું.


http://dlvr.it/TDMy9v

Comments