Skip to main content

બેદરકાર તંત્ર:પઢીયારની 3 આંગણવાડી 10 વર્ષથી નવીન બની જ નથી!

પઢીયાર ગામની 3 આંગણવાડી છેલ્લા 10 વર્ષથી જર્જરીત હોવાથી આંગણવાડીના બાળકોને ભાડાના મકાનમાં ભણાવવાની નોબત આવી છે. ભાડાના મકાન ખાલી કરાવવા બાળકોને એક મકાનથી બીજા મકાનમાં ભટકવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ વર્ષોથી નવીન આંગણવાડી બનાવવાની રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં પઢીયાર મુખ્ય 1, કરણના મુવાડા પઢીયાર 2 તથા અંદરના મુવાડા પઢીયાર (3) આમ 3 આંગણવાડીઓ છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે. જોખમી આંગણવાડી થતા બાળકોને ગામના ભાડાના મકાનમાં બેસાડીને ભણાવી રહ્યા છે. ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે. પૂરતી જગ્યા મળતી નથી અમુક ઘર લિપણ વાળા હોય છે. ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ? હાલ ચોમાસાની ઋતુ છે જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે આંગણવાડીના આંગણમાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે. ગ્રામજનોની માંગ છે કે છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે. જેથી બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજે ઘર બાળકોને ભણવા ભણાવવા ભટકવું ન પડે. તેમજ ભાડાના મકાન અધવચ્ચ ખાલી કરાવતા નવા ભાડા મકાનમાં બાળકોને લઇ જવા પડી રહ્યા છે. જેથી આંગણવાડી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. ત્યારે 3 આંગણવાડીઓને નવીન બનાવે તો બાળકોને યોગ્ય શિક્ષણ સાથે રોગચાળાથી મુક્તિ મળી શકે તેમ છે.


http://dlvr.it/TB75G7

Comments