Skip to main content

જૂનાગઢ મનપા કમિશનર MLAના પત્રનો જવાબ આપ્યો:શહેરમાં રોડ, રસ્તા, ગેસ-પાઇપ લાઇન અને રખડતા ઢોર મામલે કામગીરી શરૂ કરાઇ

જૂનાગઢના ધારાસભ્ય દ્વારા બે દિવસ પહેલા શહેરના રોડ ,રસ્તા, રખડતા ઢોર ગેરકાયદેસર ઘાસચારા મામલે કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ આજે જુનાગઢ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન પૂર્ણતાના આરે છે ત્યારે આવનાર સમયમાં શહેરના તમામ કામો આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. રખડતા ઢોર મામલે આસપાસની ગૌશાળાઓ સાથે સંકલન કરી અત્યાર સુધીમાં 284 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રોડ ખરાબ થયા છે તેને ગેરંટી પિરિયડમાં પૂરા કરવામાં આવશે. આવનારા સમયમાં જે કામો બાકી છે તેના માટે ગેસ પાઇપલાઇન ગટર રોડ ની તમામ એજન્સીઓની સાથે સંકલન કરી શહેરના વિકાસ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જુનાગઢ શહેરની સમસ્યાઓને લઈ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે ધારાસભ્યો સાથે તમામ મુદ્દાઓ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સીઝન શરૂ હતી જેને લઇ જે રોડ ખરાબ થયા છે. અગાઉ પણ ઘણી જગ્યાએ ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. વરસાદી સીઝન ના થોડા વિરામ બાદ પુરવામાં આવ્યા હતા ત્યારબાદ તડકા પડવાના કારણે તેમાંથી ધૂળ ઉડવાની હોવાથી લોકોને સમસ્યા સર્જાઈ હતી. ત્યારે આજે સાંજે જુનાગઢ શહેરના વિવિધ કામોને લઈ એક વર્કિંગ પ્લાન તૈયાર કરવામાં આવશે. જેમાં શહેરના જે રસ્તાઓ ગેરેન્ટી પિરિયડમાં છે તે રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે. જુનાગઢ શહેર વિસ્તારમાં રખડતા ઢોર મામલે જુનાગઢ શહેરની ગૌશાળાઓની મદદથી છેલ્લા દસ દિવસમાં અંદાજે 284 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. આ રખડતા ઢોરને પકડી અલગ અલગ ગૌશાળાઓમાં પણ રાખવામાં આવ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ જે ઢોર વાળા બનાવવામાં આવ્યા છે તેમાં આવનાર સમયમાં શહેરમાં રખડતા તમામ ઢોરને પકડી અહીં રાખવામાં આવશે. ત્યારે જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 100 થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. ગેરકાયદેસર ઘાસચારો વેચવા મામલે એક વ્યક્તિની હદપારી પણ કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ પોલીસ સાથે પણ ચર્ચા વિચારણા કરી જે લોકો ગેરકાયદેસર માલ ઢોર શહેરમાં મૂકી જાય છે અને ઘાસચારો વેચે છે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવા આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ શહેરમાં વિવિધ કામો ચોમાસા દરમિયાન બંધ હતા જેમાં મોટાભાગના કામ હાલ શરૂ કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં પાણી અથવા ગટરની લાઈનનું કામ બાકી હોય ત્યાં અલગ અલગ પાર્ટમાં કામગીરી શરૂ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં રોડ,ગટર ,ગેસ પાઇપલાઇન ના કામો મામલે તમામ એજન્સીઓ સાથે ચર્ચા વિચારણા કરી આયોજનપૂર્વક કામ કરવામાં આવશે.


http://dlvr.it/TDDMxy

Comments