‘નો પાર્કિંગ ઝોન’ અને ‘વન વે’ માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ:સોમનાથમાં શ્રાવણ માસને ધ્યાને લઈ ખાસ એકઝિક્યુટીવ મેજિસ્ટ્રેટોની નિમણૂકનાં આદેશો બહાર પડ્યા
ગીર સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર યાત્રાધામ આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં વાહનો લઈને આવતા હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અનુસાર સોમનાથ મંદિર મુકામે શ્રાવણ માસ દરમિયાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી સફારી બાયપાસ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર થઈ સદભાવના ગ્રાઉન્ડમાં થઈ સફારી બાયપાસથી બહાર નીકળશે. આ જ રીતે ગુડલક સર્કલ તરફથી આવતા વાહનો સોમનાથ શોપિંગ સેન્ટર આગળ થઈ જૂના અહલ્યાબાઈ મંદિરની પાછળથી એટીએમવાળી ગલીમાં થઈ બહાર નીકળવાના રસ્તા તરીકે એકમાર્ગીય જાહેર થવા તથા ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી "નો-પાર્કિંગ ઝોન" જાહેર કરવામાં આવ્યો છે. વિશેષમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં દર્શનને આવતા ભાવિકોની સલામતી અને સગવડતાની ચિંતા કરીને જીલ્લા કલેકટરશ્રી દ્વારા 9 જેટલા એકઝિક્યુટીવ મેજિસ્ટેટ, 10 ક્લાર્ક અને 3 રેવન્યુ તલાટીની ખાસ ફરજ સોંપનીનાં આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામું ફરજ ઉપરના સરકારી વાહનો, એસ.ટી.બસો, મેડીકલ ટીમના વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.05/08/2024ના રોજ કલાક 00:00 થી તા.03/09/2024ના રોજ કલાક 08:00 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
http://dlvr.it/TBSvK1
http://dlvr.it/TBSvK1
Comments
Post a Comment