મુંબઈ સ્થિત ગુજરાતી જ્વેલરી પાસેથી રૂ. 20 લાખની લાંચ લેવા સંબંધે ગુરુવારે ધરપકડ કરવામાં આવેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહ યાદવને શુક્રવારે વિશેષ કોર્ટમાં હાજર કરાતાં 14 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડી આપવામાં આવી હતી. વિશેષ સીબીઆઈ જજ એસ પી નાઈકે યાદવને સીબીઆઈ કસ્ટડી આપી હતી. ઝવેરીના પુત્રને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને યાદવે ભીનું સંકેલવા માટે રૂ. 20 લાખની લાંચની માગણી ઝવેરી પાસે કરી હતી. કોર્ટે એફઆઈઆર અને કેસ ડાયરી વાંચ્યા પછી એવી નોંધ કરી હતી કે આ તબક્કે આરોપોમાં તથ્ય છે એવું મને જણાય છે. સીબીઆઈ અનુસાર ઈડી દ્વારા 4 ઓગસ્ટે મની લોન્ડરિંગ કેસ સંબંધમાં વી એસ ગોલ્ડ નામે બુલિયન કંપનીના માલિક વિપુલ ઠક્કરનાં સંકુલોમાં સર્ચ કરવામાં આવી હતી. આ પછી યાદવે ઠક્કરના પુત્ર નિહારની ધરપકડ કરવાની ધમકી આપીને મામલો રફેદફે કરવો હોય તો રૂ. 25 લાખ આપવા કહ્યું હતું, જે પછી રૂ. 20 લાખ લેવા તૈયાર થયો હતો. ઠક્કરે જોકે સીબીઆઈમાં ફરિયાદ કરી હતી, જેને તપાસ કરતાં પ્રથમદર્શી આરોપ સાચા હોવાનું જણાયું હતું. નવી દિલ્હીમાં વડામથકે બેસતા યાદવની નવી દિલ્હીમાં લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે તપાસ આરંભિક તબક્કામાં હોવાથી કસ્ટડીની જરૂર છે. યાદવના વકીલે કહ્યું કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેના ઘરમાંથી કોઈ રોકડ મળી નહોતી એવી દલીલ પણ કરાઈ હતી. તપાસમાં સહયોગ આપી રહ્યો છે, અવાજના નમૂના આપ્યા છે એમ કહીને કસ્ટડીનો વિરોધ કર્યો હતો. જોકે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વધુ તપાસ માટે તેને સીબીઆઈની કસ્ટડીમાં સોંપ્યો હતો.
http://dlvr.it/TBkQ3R
http://dlvr.it/TBkQ3R

Comments
Post a Comment