રાણપુર ખાતે ભાજપ દ્વારા કોળી સમાજનું સંમેલન:સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં સંમેલન યોજાયું, ચુવાળીયા કે તળપદા કોળીનો કોઈ વિવાદ નથી, સમસ્ત કોળી એક છે: બાવળિયા
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળીયા કોળી અને તળપદા કોળીના ચાલતા વિવાદનો હવે અંત આવ્યો છે અને સમસ્ત કોળી સમાજ એક છે અને સમસ્ત કોળી સમાજ ભાજપને મતદાન કરવાના હોવાનું કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રેલી, સંમેલનો, લોક સંપર્ક કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કરાય રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા બોટાદના રાણપુર ખાતે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલન રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર, પૂર્વ સાંસદ સોમા પટેલ, કરશન વેગડ સહિતના કોળી સમાજના આગેવાનો સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં રોષ ફેલાયો હતો અને તળપદા કોળી સમાજ દ્વારા સંમેલનો યોજી વિરોધ કરી તળપદા કોળી સમાજને ટિકિટ આપવા માગ ઉઠી હતી, પરંતુ ભાજપ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી. જે મામલે કુંવરજી બાવળીયાને પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક પર ચુવાળીયા કોળી કે તળપદા કોળી સમાજ એક જ છે અને કોઈ વિવાદ નથી અને સમસ્ત કોળી સમાજ ભાજપની સાથે છે. ભાજપને જ મતદાન કરશે તેમ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
http://dlvr.it/T66Z1F
http://dlvr.it/T66Z1F
Comments
Post a Comment