Skip to main content

કેરીના ભાવમાં વધારો:ગત વર્ષ કરતાં કેસર કેરીનો ભાવ વધારે હોવાથી 5 કિલોની પેટીની ખરીદીમાં વધારો

ગાંધીનગરમાં ઉનાળામાં કેસર કેરીના વેચાણની શરૂઆત થઇ ગઇ છે. શહેરના કૃષિભવન ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ગીર વિસ્તારના તાલાલા, જામવાળા સહિતના ગામોના ખેડૂતોએ કેસર કેરીના વેચાણ માટે સ્ટોલ શરૂ કરી દીધા છે પરંતુ આ વખતે કેસર કેરીના ભાવ ઘણા વધારે હોવાથી હાલ નાગરિકો 5 કિલોની પેટી વધારે ખરીદી રહ્યા છે. ફળોના રાજા ગણાતા કેરી અને તેમાં પણ ખાસ કરીને કેસર કેરીની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. ગીરની કેસર કેરી બજારમાં વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસથી વેચાઇ રહી છે પરંતુ હવે ખેડૂતો જાતે પોતાની આંબાવાડીની કેરીઓનું વેચાણ કરવા ગાંધીનગર આવી ગયા છે. કૃષિ ભવન પાસે હાલ 7થી 8 જેટલા ખેડૂતોએ સ્ટોલ શરૂ કર્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થશે પરંતુ હજુ સિઝનની શરૂઆત હોવાથી ભાવ ઘણા ઉંચા રહે છે. અહીં કેરીનું વેચાણ કરી રહેલા જામવાળાના ખેડૂત ભરતભાઇ કોરાટે કહ્યું કે હાલ ક્વોલિટી પ્રમાણે 9 કિલોની પેટીના ભાવ 1600થી 2200 રૂપિયા જેટલા છે. 5 કિલોની પેટીના ભાવ 800થી 1200 રૂપિયા છે. ગીરમાંથી કેરીની હજુ આવક થઇ છે આવનારા દિવસોમાં આવક વધશે તે પ્રમાણે ભાવમાં ઘટાડો થશે. ગત વર્ષ કરતા આ વખતે 9 કિલોની પેટીએ ભાવમાં 400થી 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. કેસર કેરીના ભાવ વધારે હોવાથી હાલ નાગરિકો દ્વારા 5 કિલોની પેટીની ખરીદી વધારે કરવામાં આવે છે. જોકે, હાલમાં હજુ ફળ નાનું છે. આગામી દિવસોમાં મોટા ફળ સાથેની બેસ્ટ ગુણવત્તાની કેરી બજારમાં આવશે. આ સ્થળે ખેડૂતો સીધું વેચાણ કરતા હોવાથી લોકોને સારી ગુણવત્તાનો ભરોસો રહે છે જેથી અહીંથી ખરીદીનું પ્રમાણ વધારે રહે છે. હાલ શરૂઆતના દિવસો હોવા છતાં અહીં દરરોજની 500થી 700 પેટી કેરીનું વેચાણ થઇ રહ્યું છે. આગામી દિવસોમાં તેમાં વધારો થશે. ખેડૂતો દરરોજ પીકઅપ વાનમાં ગીરથી તાજી કેરી મંગાવે છે. વાતાવરણમાં બદલાવ આવતા કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. વાતાવરણમાં સતત બદલાવ આવવાને કારણે તેમજ વાવાઝોડા જેવો પવન સતત રહેવાથી આંબા પરથી મોર અને મરવા ખરી પડ્યા હતા. કેટલાક ખેતરોમાં તો આંબાના ઝાડ પણ પડી ગયા હતા. જેના કારણે આ વખતે ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે જેથી હાલમાં કેસર કેરીના ભાવ વધારે છે.


http://dlvr.it/T61gVR

Comments